www.VankarSamaj.com

By Bharat Dabhi

 

વેબસાઇટના આ વિભાગમાં અમો આપણા વણકરસમાજને લગતા સમાચારો અને અન્ય વિવિધ માહિતિઓ આપવાનો પ્રયત્ન કરીશું

*** BACK TO HOME ***

 

વડોદરા ખાતે સમાજમાં થતા છુટાછેડા અટકાવાવા ચિંતન શીબિર (૨૭-૦૫-૨૦૨૩)

www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભી, વણકર ફાઉંડેશન – વડોદરાના સંસ્થાપક શ્રી મિતેષભાઇ ચાવડા ના સહિયારા પ્રયત્નોથી ડૉ. બી. આર. આંબેડકર ભવન – વડોદરાના ચેરમેનશ્રી મણિભાઇ જે. પરમાર અને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશનના પુર્વસદસ્ય શ્રી મુળચંદભાઇ રાણાના અમુલ્ય માર્ગદર્શન હેઠળ તારીખ ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ વડોદરા ખાતે સમાજમાં થતા છુટાછેડાઃ કારણો અને ઉપાયો વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઇ ગઇ. જ્યાં ૪૦ કરતા વધુ દુરસુદરથી પધારેલ વણકરસમાજના શુભચિંતક મહાનુભવો ઉપસ્થિત રહેલ અને સમાજમાં થતા છુટાછેડા અટકાવવા હેતુ ગંભીર વિચાર વિમર્શ કરેલ. ચર્ચાને અંતે છુટાછેડા અટકાવવા હેતુ સ્વયંસેવકોની એક ટીમ બનેલ અને નક્કિ કરવામાં આવેલ કે છુટાછેડા માર્ગે જઈ રહેલ સમાજના કોઇ યુગલ ટીમના કેંદ્રિય સંપર્ક બિંદુ તરીકે શ્રી ભરતભાઇ ડાભીને તેમના ફોન નંબર +૯૧૯૯૬૭૯૧૭૮૦૫ પર મેટર જણાવશે તો આ ટીમ છુટાછેડાના માર્ગે જઈ રહેલ યુગલને સ્વયં મળવા જઈ સમજાવશે અને છુટાછેડા અટકાવવા યથાશક્તિ પ્રયન્ત કરશે. આગળ એ પણ નક્કિ કરવામાં આવ્યુ કે હવે આગામી સમયમાં એવા કાર્યક્રમ કરવામાં આવે જેમાં સમાજના જે યુવકો-યુવતિઓ પરણવાના છે તેઓને તેમજ તેમના માતા-પિતાને લગ્નવિષયક કાઉંસેલીંગ કરવામાં આવે જેથી સંભવિત લગ્નભંગાણ અટકાવી શકાય. આ સમયે ઉપસ્થિત નંદાસણ ગામથી ખાસ પધારેલ સમગ્ર પરગણા વણકરસમાજના પ્રમુખશ્રી ભીખાભાઇ મકવાણાએ www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભીનુ સન્માન કરેલ. સમગ્ર ચિંતન શિબિરનુ સફળ સંચાલન આયોજક મંડળના શ્રી મણિભાઇ પરમાર, શ્રી મિતેષભાઇ ચાવડાએ સંભાળેલ તેમજ સમાપન – આભારવિધી ગુજરાત વણકર સેવા સમાજ, વડોદરાના પ્રમુખશ્રી ગોરધનભાઇ આર્યએ કરેલ.

 
 

અનુસુચિત જાતિ વર્ગના ઇતિહાસમાં સર્વ પ્રથમ

વણકર જ્ઞાતિના NRI ઉમેદવારોનો જીવનસાથી પસંદગી મેળો (૦૬-૦૧-૨૦૧૯)

સમાજસેવી મિત્રોશ્રી મિતેશભાઇ ચાવડા (ફોનઃ +૯૧૯૮૯૮૦૨૩૬૦૦) અને શ્રી ભરત ડાભી (ફોનઃ +૯૧૯૯૬૭૯૧૭૮૦૫) ના પ્રયત્નોથી વણકર યુવા સમિતિ - વડોદરા દ્વારા અનુસુચિત જાતિ વર્ગના ઇતિહાસમાં વણકર જ્ઞાતિનો સર્વ પ્રથમ NRI ઉમેદવારોનો જીવનસાથી પસંદગી મેળો ૦૬-૦૧-૨૦૧૯ ના રોજ આંબેડકર ભવન, વડોદરા ખાતે યોજાઇ ગયો. જ્યાં, www.VankarSamaj.com થકિ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયેલ અંદાજે ૧૫૦-૨૦૦ જેટલા દેશ-વિદેશમાં રહેતા ઉમેદવારો અને તેઓના કુટૂંબીજનો ઉપસ્થિત રહેલ જેમણે સ્ટેજ પર આવી અંગ્રેજીમાં પોતાનો પરીચય આપેલ. કાર્યક્રમના સ્થળે પણ અંદાજે ૪૦-૫૦ જેટલા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવેલ. આપણા વણકરસમાજમાંથી વિદેશ વસતા અને ભારતમાં રહિ વિદેશી પાત્ર શોધતા લોકોને મદદરુપ થવાના આશયથી યોજાયેલ આ કાર્યક્રમમાં GST કમીશ્નર અને IAS અધિકારીશ્રી પીડિ વાઘેલા સાહેબ સહિત આપણા સમાજના જાણિતા સમાજસેવી અને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશનના પુર્વ સભ્યશ્રી મુળચંદભાઇ રાણા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા અમેરીકા રહેતા શ્રી અનિલભાઇ પરમાર, લંડન રહેતા શ્રી કલ્પેશભાઇ મકવાણા, ઓસ્ટ્રેલીયા રહેતા શ્રીમતિ અમીબેન પરમાર, અમદાવાદ ખાતે વિઝા કન્સલ્ટંસીનુ કામ સંભાળતા શ્રી રશ્મીકાંતભાઇ પરમારે પ્રશંસનીય કામગીરી બજાવેલ તેમજ કાર્યક્રમનુ સફળ સંચાલન ટીવી એન્કર અને રિપોર્ટર ભાવિષાબેન પરમારે કરેલ.

 

ઉત્તર ગુજરાત વણકરસમાજ સંગઠિત કરવાની પહેલ (૧૪-૦૪-૨૦૧૮)

સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ વણકરોની સામાજિક અને આર્થિક પ્રગતિ માટે, એકમેકનો સહારો કરી શકાય તે હેતુથી એક છત્ર હેઠળ લાવવા માટે ડિસેમ્બર-૨૦૧૬ થી કાર્યરત શ્રી ૧૧ ગોળ વણકરસમાજ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. અમૃતલાલ પરમાર (ફોનઃ +૯૧૮૧૫૫૦૪૦૨૨૨) ના પ્રયત્નોથી બનાસકાંઠા ધાણધાર વણકરસમાજના પાંચ જલા, સાબરકાંઠા જીલ્લા તેર પરગણા, અરવલ્લી જીલ્લા ૪૭ ગામ વણકરસમાજ, ૧૩૫ પાટણવાડા વણકરસમાજ, વઢિયાર વણકરસમાજ, વારાહિ જતોડો વણકરસમાજ, રાધનપુર નિયડ વણકરસમાજ, ચારસો ગામ ચુવાળ વણકરસમાજ, ૪૨ ગામ મહેસાણા વણકરસમાજ, સિધ્ધપુર બાવન ગામ વણકરસમાજ, ૧૩ ગામ મહેસાણા વણકરસમાજ, છેડાલ વણકરસમાજ (નાનો-મોટો ભાગ), અડસઠ પરગણુ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લો અને ૧૧ ગોળ વણકરસમાજ સહિત ૨૯ જેટલા વણકરસમાજના વિવિધ ગોળ-પંચ-પરગણાના અગ્રણિઓ, ન્યાતના પ્રતિનિધિઓ જેમાં ગુજરાત સરકારના પુર્વ મંત્રીશ્રી ડૉ. કરશનદાસ સોનેરી, ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષશ્રી રમેશ સોલંકી, શ્રી વીરમાયા વણકર સમાજ સુધારક સમિતિ (૪૭ ગામ સ્વયંસાથી), બાયડના કન્વિનરશ્રી હસમુખભાઈ સક્સેના, શ્રી નયન મોરી વગેરે સહિત ત્રણ હજાર ઉપરની સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિમિત્રોની હાજરીમાં અને ગુજરાત સરકારના નિવૃત્ત સચિવ અને ૧૧ ગોળ વણકરસમાજના પૂર્વ પ્રમુખશ્રી કાનજીભાઇ ચૌહાણની અધ્યક્ષતામાં *ઉત્તર ગુજરાત વણકરસમાજનો ચિંતન સમારોહ* તારીખ ૧૪-૧૫ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ ૧૧ ગોળ વણકરસમાજ શૈક્ષણિક સંકુલ, તાવડિયા રોડ, મેહસાણા ખાતે યોજાઇ ગયો. જ્યાં પધારેલ ૨૯ જેટલા વણકરસમાજના વિવિધ ગોળ-પંચ-પરગણાના અગ્રણિઓ, ન્યાતના પ્રતિનિધિઓને તાવડિયા રોડ રામ મંદિરેથી સામૈયારુપે સ્વાગત કરી કાર્યક્રમના સ્થળ ૧૧ ગોળ વણકરસમાજ શૈક્ષણિક સંકુલ ખાતે લાવવામાં આવેલ અને ચા-પાણી-નાસ્તા સાથે ચિંતન સમારોહની શરુઆત થયેલ.

સમારોહની શરુઆતમાં ૧૧ ગોળ વણકરસમાજના પુર્વ મંત્રીશ્રી વિઠ્ઠલભાઇ લેઉઆના સ્વાગત પ્રવચન બાદ આયોજકશ્રી ડૉ. અમૃતલાલ પરમારે કાર્યક્રમની રુપરેખા અને હેતુ વગેરેની માહિતિ આપી ઉપસ્થિત જ્ઞાતિમિત્રોને માર્ગદર્શક સલાહ-સુચન આપવા જણાવેલ. જેના પરીણામે ઉપસ્થિત અગ્રણીઓએ વણકરસમાજમાં એક્તા, સંગઠન, શિક્ષણ-રોજગારી વગેરેને લગતી પ્રવર્તમાન સમસ્યાઓને વાચા આપતા એક સુરે બદલતા સમય સાથે અંધશ્રધ્ધા-કુરિવાજોમાંથી સમાજને મુકત કરી, સર્વસામાન્ય રીતિ-રિવાજોના બંધારણની આવશ્યકતાને સ્વિકારી યોગ્ય કરવા હાકલ કરી હતી. સાથે ગાંધીનગર ખાતે સમગ્ર વણકરસમાજના પ્રતિક સમાન વણકર ભવન માટેની જમીન માંગણી સાથે ઉપસ્થિત વિવિધ ગોળ-પંચ-પરગણાના ૧૧-૧૧ પ્રતિનિધિઓવાળા સમગ્ર ઉત્તર ગુજરાત વણકરસમાજનુ પ્રતિનિધિત્વ કરતું એક સંગઠન રચવા માટેનો ઠરાવ કરવામાં આવેલ. જેનું સંસ્થાકીય સ્વરૂપ આપતી બેઠક જુન મહિનામાં થશે.

બે દિવસ ચાલેલ આ ચિંતન સમારોહનુ સઘળુ સંચાલન શ્રી ૧૧ ગોળ વણકરસમાજ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી ડૉ. અમૃતલાલ પરમારે સંભાળેલ તેમજ તેમના પત્નિ શ્રીમતિ ગજરાબેને આ સમારોહમાં ચા-પાણી, નાસ્તા, ચાર ટાઇમ ભોજનના દાતા તરીકે અપ્રતિમ સહયોગ આપેલ તેમજ કાર્યક્રમના આયોજન હેતુ ૧૧ ગોળ વણકરસમાજ તરફથી રુપિયા છ લાખનો આર્થિક સહયોગ મળયો હતો.

૧૪-૦૪-૨૦૧૮ ના રોજ સવારથી ચાલુ થયેલ આ સમારોહનુ સમાપન ૧૫-૦૪-૨૦૧૮ ના રોજ બપોર જમણવાર બાદ ૧૧ ગોળ વણકરસમાજના પુર્વ પ્રમુખશ્રી કાનજીભાઇ કે ચૌહાણની આભારવિધી સાથે થયેલ..
 

     

ગુજરાતના અનુસુચિત જાતિ / જનજાતિના મીડિયામિત્રો
દિલ્હિ – સંસદની મુલાકાતે (10-04-2017)

અનુસુચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગની સંસદીય સમિતિના અધ્યક્ષ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ વણકરસમાજના શ્રી ડૉ. કીરીટભાઇ સોલંકીના આમંત્રણથી www.VankarSamaj.com ના શ્રી ભરત ડાભીના આયોજનમાં ૪૭ જેટલા અનુસુચિત જાતિ - જનજાતિના પત્રકારો, તંત્રીઓ, પ્રકાશકો, ટીવી રીપોર્ટરોના ગ્રુપનો ૧૦-૦૪-૨૦૧૭ ના રોજ દિલ્હિ-સંસદ મુલાકાતનો પ્રવાસ કાર્યક્રમ થઈ ગયો. જ્યાં “આશીર્વાદ” સાપ્તાહિકના પ્રકાશકશ્રી ગણપતભાઇ પંડ્યા (અમદાવાદ); "પ્રેરણા સંદેશ" ના પત્રકારશ્રી હરવદન પરમાર (અમદાવાદ); "જોતા રહેજો" ના સહતંત્રીશ્રી નરેશભાઇ ચાવડા (દાહોદ); પત્રકારશ્રી જીતુ સોલંકી (અમદાવાદ); પત્રકારશ્રી રમેશ ગરવા (ભુજ); “સમાજદિપ” ના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર (પાલનપુર); “સુપ્રીમો ગુજરાત” દૈનિકના પ્રકાશકશ્રી અમીત પરમાર (સુરત), પત્રકારશ્રી હિતેશ બાખીયા (સુરત); પત્રકારશ્રી હરેશ પરમાર (સુરત); “કચ્છ નાયક” ના પ્રકાશકશ્રી રમેશ ચાવડા (જામનગર) અને શ્રી મુકેશ ચાવડા (જામનગર); “ખબર ગુજરાત” ના પત્રકારશ્રી અનિલ ગોહિલ (જામનગર); “નારી સુવાસ” ના પ્રકાશક શ્રીમતિ સુશીલાબેન શ્રીમાળી (અમદાવાદ); ડભોઇ (વડોદરા) નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને પત્રકારશ્રી વિનોદભાઇ સોલંકિ; ધુલે (મહારાષ્ટ્ર) ના પત્રકારશ્રી પ્રમોદ ધાનકર; પત્રકારશ્રી કાનજી રાઠોડ (ભચાઉ); પત્રકારશ્રી દિનેશ કંઠેચીયા (ભચાઉ); પત્રકારશ્રી સુરેશ વાઘેલા (ભચાઉ); “રાષ્ટ્રીય સંઘર્ષ” ના પ્રકાશકશ્રી કિશોરભાઇ મકવાણા (ભાવનગર); “લોક કલ્યાણ” ની પ્રકાશક ટીમના શ્રી ભોગીલાલ ડાભી, શ્રી સનતભાઇ ડાભી, શ્રી દિનેશ ડોડિયા; પત્રકારશ્રી મોહન સોલંકી (મોરબી); “સત્યની સાથે” ના પ્રકાશકશ્રી સંજય શ્રીમાળી; ટીવી રીપોર્ટરશ્રી ભરત બગડા (ધોરાજી); “ચેલેંજર” ના પ્રકાશકશ્રી પ્રતાપ ગોહિલ (પાલીતાણા); દામીની પબ્લિકેશનના માલિકશ્રી ડૉ. દિનુ ભદ્રેસરીયા; પત્રકારશ્રી મહેન્દ્ર મેઘવાળ (અમદાવાદ) અને શ્રી કનુ મેઘવાળ સહિત અન્ય મીડિયામીત્રો જોડાયેલ.
 

કાર્યક્રમની સવારે બધા મિત્રો ડૉ. કિરિટભાઇ સોલંકીના જનપથ માર્ગ ખાતે આવેલ સાંસદ નિવાસે ભેગા મળી સંસદભવન રવાના થયેલ, જ્યાં ડૉ. કિરિટભાઇ સોલંકીએ સ્વયં સેંટ્રલ હોલ વગેરે જેવા સંસદભવનના વિવિધ ખંડો – વિભાગોમાં લઈ જઈ આવનાર મિત્રોને સંસદભવનનો પરીચય કરાવેલ અને તે દરમીયાન સાંસદશ્રી સુબ્રમણીયમ સ્વામી; રાજ્ય કક્ષાના નાણા મંત્રી સાંસદશ્રી અર્જુન મેઘવાળ; ઇંડિયન પ્રીમીયર લીગના ચેરમેન અને સાંસદશ્રી રાજીવ શુક્લા; ભુજના સાંસદશ્રી વિનોદ ચાવડા; આંદમાન-નિકોબારના સાંસદશ્રી બિશ્નુ રાય અન્ય હસ્તીઓ સાથે મળાવેલ. ડૉ. કિરિટભાઇ સોલંકીના સૌજન્યથી સંસદ કેંટીનમાં આવનાર મિડિયામિત્રોએ બપોરનુ ભોજન લીધુ હતુ. આ સમયે યોગાનુયોગ રાજ્યસભા સાંસદ મહંતશ્રી શંભુનાથજી મહારાજ પણ ઉપસ્થિત હોય આવનાર મિડિયામિત્રોએ તેમની પણ મુલાકાત લઈને આશીર્વચન મેળવેલ સાથે બાપુએ ઉપસ્થિત ગુજરાત સંસદસભ્યોશ્રી દેવુસિંહ ચૌહાણ; શ્રી પ્રભુભાઇ વસાવા; શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા વગેરે સાથે મુલાકાત કરાવેલ. કાર્યક્રમની સઘળી વ્યવસ્થા ડૉ. કિરિટભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ શ્રી અરુણ સાધુ દ્વારા કરવામાં આવેલ.

     
     
 

અજાજ મિડિયામિત્રોનો પરીસંવાદ (04-03-2017)

www.VankarSamaj.com ના શ્રી ભરત ડાભી અને ગુજરાત અનુસુચિત જાતિ અતિપછાત નિગમના પુર્વ ડિરેક્ટર, પાટણ ગરો બ્રાહમણ સમાજના જાણિતા સમાજસેવીશ્રી અરુણ સાધુના સહિયારા પ્રયત્નોથી ગુજરાતના દલિત સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર અનુસુચિત જાતિ-જનજાતિ વર્ગના પ્રકાશકો, તંત્રીઓ, પત્રકારો અને અન્ય રીતે મીડિયામાં કામ કરતા સમાજમિત્રોનો પરીસંવાદ અનુસુચિત જાતિ-જનજાતિ કલ્યાણ વિભાગની સંસદીય સમિતિના અધ્યક્ષ અને અમદાવાદ પશ્ચિમના સાંસદ વણકરસમાજના શ્રી ડૉ. કીરીટભાઇ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ૦૪-૦૩-૨૦૧૭ શનિવારના રોજ એનેક્ષી – અમદાવાદ ખાતે યોજાઇ ગયો જ્યાં માહિતિ ખાતા ગુજરાતના નિયામકશ્રી એ.જે.શાહ; પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો – દિલ્હિના નાયબ નિયામકશ્રી શ્યામા પ્રસાદ સહિત “માતૃછાયા દૈનિક” ના પ્રકાશકશ્રી ખેમચંદભાઇ સોલંકી (ડિસા); "આશીર્વાદ" સાપ્તાહિકના તંત્રી - પ્રકાશકશ્રી ગણપતભાઇ પંડ્યા (અમદાવાદ); “ન્યાય જ્યોત” ના તંત્રીશ્રી પ્રહલાદભાઇ ચૌહાણ (મેહસાણા); “આદિવાસી ટપાલ” ના પત્રકારશ્રી કિલરાજ ડામોર (દાહોદ); “જોતા રહેજો” ના સહતંત્રીશ્રી નરેશભાઇ ચાવડા (દાહોદ); “ન્યાયિક સમીક્ષક” ના તંત્રીશ્રી કલ્પેશ વોરા (અમદાવાદ); પત્રકારશ્રી અરવિંદ પરમાર (ભાવનગર); પત્રકારશ્રી જીતુ સોલંકી (ભાવનગર); પત્રકારશ્રી વાલજીભાઇ મકવાણા (તળાજા ગીર); “આરટીઆઇ ઇમ્પેક્ટ” ના પ્રકાશકશ્રી સ્વપનીલ મહેતા (ગાંધીનગર); “ધબકાર દૈનિક” ના પત્રકારશ્રી જીવણભાઇ ડોડિયા (ભરુચ); “દલિત અધિકાર” ના શ્રી ચંદુભાઇ મહેરીયા (અમદાવાદ); પત્રકારશ્રી રમેશ ગરવા (ભુજ); “સમાજદિપ” ના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર (પાલનપુર); “લોકશાહિ અને બનાસ” ના પ્રકાશકશ્રી મુકેશ ચૌહાણ (પાલનપુર); “આપણુ ગુજરાત” ના પ્રકાશકશ્રી દેવેન વર્મા (ગાંધીનગર); પત્રકારશ્રી જય અમીન (મોડાસા); પત્રકારશ્રી હિતેશ પરમાર (વિસનગર); પત્રકારશ્રી છગન વણકર (તિલકવાડા); “ઓપોર્ચ્યુનિટી સાપ્તાહિક” ના તંત્રીશ્રી જયંતિલાલ માંડલિક (વિસનગર); “સુપ્રીમો ગુજરાત” દૈનિકના પત્રકારશ્રી હિતેશ બાખીયા (સુરત); આવાજ ન્યુઝ ટીવીના રીપોર્ટરશ્રી જશુભાઇ નાડિયા (અમદાવાદ); લીંબડીના જાણિતા સમાજસેવી - ટીવી રીપોર્ટર શ્રી સચીન મકવાણા; પત્રકારશ્રી દિપક પટેલ (અમદાવાદ); તંત્રી વાસંતીબેન મહેરીયા (વિસનગર); પત્રકારશ્રી શૈલેષ પરમાર (વડનગર) અને અન્ય વિવિધ ન્યુઝપેપર – પ્રકાશનોના પત્રકારો, તંત્રીઓ અને રીપોર્ટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમની શરુઆત ડૉ. બાબા સાહેબ આંબેડકરની છબી સમક્ષ દિપ-પ્રાગટય અને ઉપસ્થિત મહેમાનોના સ્વાગતથી થયેલ. ત્યારબાદ www.VankarSamaj.com ના શ્રી ભરત ડાભીએ કાર્યક્રમની પ્રસ્તાવના રજુ કરતા આ કાર્યક્રમ એકદમ બીનરાજકિય રીતે આયોજીત છે તેવુ ભારપુર્વક જણાવતા ઉપસ્થિત સમાજના મીડિયામિત્રોને તેમના વ્યવસાયને લક્ષતા પ્રશ્નોની રજુઆત અને ચર્ચા કરવા જ્ણાવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સાંસદશ્રી ડૉ. કીરીટભાઇ સોલંકીએ સમાજના મીડિયામિત્રો સાથે મળવાના અને પરીચય કેળવવાના અવસરે ઉપસ્થિત રહેવાની ધન્યતા અનુભવતા તેમની સંસદિય સમિતિના અધ્યક્ષ તરીકેની કામગીરીથી લોકોને અવગત કરેલ. સંસદ-ન્યાયપાલિકા-પ્રસાશન સાથે લોકશાહિના ચોથા સ્તંભ તરીકે પત્રકારત્વની અગત્યતા જણાવતા સમાજને આ ક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓ અંગે તેઓની લાગણી વર્ણવતા ઉપસ્થિત માહિતિ ખાતા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો – દિલ્હિના અધિકારીઓને મદદરુપ બનવા અનુરોધ કરેલ. તેમણે સુચન કરેલ કે સમાજના મીડીયામિત્રો સંગઠિત બની સહકારી મંડળી બનાવાનુ વિચારે અને પ્રધાનમંત્રીશ્રીની સ્ટાર્ટ અપ અને મુદ્રા યોજાનાઓ થકી અલાયદુ પ્રીંટીગ પ્રેસ વગેરે જેવી સુવિધાઓ ઉભી કરી ટૂંકા આયુષ્યમાં બંધ થતા વિવિધ સામયિક, દૈનિકોને આર્થીક રીતે સહાયરુપ બને. સાથે સરકારની વિવિધ જોગવાઇઓ મુજબ દરેક શહેરોમાં “અખબાર નગર” બને તે અંગે થતા સહિયારા પ્રયત્નોમાં સહભાગી બનવાની તત્પરતા દાખવેલ. ગુજરાત માહિતિ ખાતાના નિયામકશ્રી એ.જે.શાહ તેમના વકતવ્યમાં પત્રકારોને એક્રેડિએશન કાર્ડ મેળવવાના તેમજ જાહેરાતો માટે ડિસ્પ્લે પેનલમાં સામીલ થવા અંગેના વિવિધ નિયમો, યોજનાઓની માહિતિ આપેલ અને નાત-જાતના કોઇપણ ભેદભાવ વગર દરેક મીડિયામિત્રને મદદરુપ બનવાની તેમની ઇચ્છા જણાવેલ. આ કાર્યક્રમ માટે દિલ્હિથી ખાસ પધારેલ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના નાયબ નિયામકશ્રી શ્યામા પ્રસાદે કેન્દ્ર સરકારના માન્યતા પ્રાપ્ત પત્રકાર બનવા વગેરે અંગેની વિવિધ માહિતિ આપેલ. ઉપસ્થિત અનુસુચિત જાતિ-જનજાતિના મિડિયામિત્રોએ પણ તેઓના વિવિધ મુદ્દાઓ રજુ કરેલ. આવનાર સર્વને ઉપયોગી માહિતિ સાથેની એક કિટવાળી બેગને કાર્યક્રમની યાદગીરીરુપે ઉપસ્થિત મહેમાનોને આપવામાં આવેલ. એક્દમ ટુંકા ગાળામાં ભારે જહેમતથી આયોજીત આ કાર્યક્રમના સમાપન સાથે સર્વ મિત્રો છુટા પડેલ.

     
 
 
 

દેશનો સર્વ પ્રથમ કેશલેસ સમુહ લગ્નોત્સ્વ બાયડ ખાતે યોજાયો (19-02-2017)

તારીખ ૦૮-૧૧-૨૦૧૬ ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક દિન તરીકે અંકાઇ ગયેલ છે. કાળાનાણાને નાથવા તેમજ રોકડ વ્યવહારો થકિ થતા ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવાના ઉદ્દેશ સાથે રાતો રાત કરવામાં આવેલ નોટબંધીથી દેશમાં એટીએમ અને બેંકોમાં લાઇનો લાગેલ હતી ત્યારે પ્રધાનમંત્રીશ્રીની કેશલેસ અર્થવ્યવસ્થા અપનાવાની અપીલને આવકારનાર કોઇ સમાજ હતો તો, તે અનુસુચિત જાતિવર્ગનો "વણકર સમાજ" હતો. નોટબંધી બાદ રોકડ વ્યવહાર વગર પણ સાદાઇથી લગ્ન થઈ શકે છે તે સુરતના પરાજીયા વણકરસમાજના નવયુગલ ભરત મારુ અને દક્ષા પરમારે સમગ્ર સમાજની હાજરીમાં માત્ર રુપીયા ૫૦૦/- ના ખર્ચ સાથે પરણીને જણાવેલ જેની નોંધ પ્રધાનમંત્રીશ્રીએ ૨૭-૧૧-૨૦૧૬ ના રોજ તેમના "મન કિ બાત" કાર્યક્રમમાં પણ લીધેલી. પ્રધાનમંત્રી અને સરકારના ભ્રષ્ટાચારમુકત દેશ નિર્માણના ઉપરોક્ત આ મહાકાર્યમાં સહભાગી બનતા અનુસુચિત જાતિવર્ગના "વણકર સમાજ" દ્વારા દેશનો પ્રથમ કેશલેસ સમુહ લગ્નોત્સવ ૧૯-૦૨-૨૦૧૭ ના રોજ વીરમાયા ભવન, નારણપુરા, બાયડ (અરવલ્લી) ખાતે યોજાઇ ગયો. શ્રી વીરમાયા વણકર સમાજ સુધારક સમિતિ, બાયડ દ્વારા યોજાયેલ સંપુર્ણપણૅ કેશલેસ વ્યવહાર સાથેના દેશના આ પ્રથમ સમુહ લગ્નોત્સવમાં ૯ જોડાઓએ પ્રભુતામાં પગલા પાડેલ. આ સમુહ લગ્નોત્સવમાં દાન - ભેટ સ્વિકારવાથી લઈને સર્વ ખર્ચાઓ માત્ર ને માત્ર ચેકથી અથવા બેંક કાર્ડથી કરવામાં આવેલ. તદ ઉપરાંત ભારતના સામજીક ઇતિહાસમાં પ્રથમ વાર સામાજીક લેવડ દેવડ - વ્યવહારો - દાપુ આપવાનો રીવાજ, પંડિતને દાન-દક્ષિણા આપવુ વગેરે બધું જ ચેકથી કરવામાં આવેલ.
 

આંબેડકરી ચળવળો પર પીએચડિ કરનાર અને પ્રખર આંબેડકવાદી તરીકે ઓળખાતા ડૉ. પી.જી.જ્યોતિકર સાહેબ સાથેની એક ચર્ચામાં જણાયુ કે દેશને જ્યારે પણ જરુર પડિ છે, દેશમાં જ્યારે પણ પ્રગીતિશીલ પરીવર્તન આવ્યુ છે ત્યારે વણકર સમાજ તેનુ યોગદાન આપવામાં અગ્રેસર રહ્યો છે. ઇતિહાસની વાત કરીએ તો આજથી નવસો વર્ષ પહેલા પાણી વિના તરફડતી પાટણની પ્રજાને બચાવવા – સમગ્ર જીવસૃષ્ટીને ઉગારવા – સમગ્ર માનવજગતા કલ્યાણ હેતુ પોતાના જીવનુ બલિદાન આપનાર મહાન વણકરપુત્ર વીરમાયા હતા. ૧૮૫૭ ના દેશ આઝાદિની પ્રથમ લડાઇમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ સાથે રહિને અંગ્રેજોના દાંત ખાટા કરતા દેશની રક્ષા માટે શહિદ થનાર વણકરપુત્રી જલ્કારીબાઇ હતી. ગાધીજીએ ૧૯૧૫-૧૬ માં સાબરમતી આશ્રમની અમદાવાદ ખાતે સ્થાપના કરી ત્યારે દુધાભાઇ વણકરની પુત્રીને દત્તક લીધી. આઝાદીની ચળવળ દરમીયાન ગાંધીજી જ્યારે દેશને સ્વનિર્ભર બનાવવા માંગતા હતા ત્યારે રામજીભાઇ બઢીયાએ ગાંધીજીને વણાટકામ – રેંટીયો કાંતતા શીખવેલ જેના પ્રતાપે ઐતિહાસીક સ્વદેશી – ખાદી અપનાવોની ચળવળ આકાર પામેલી. રામજીભાઇ બઢીયાને ગાંધીજીએ વણાટ ગુરુ તરીકે નવાજેલા. ૧૨-૦૩-૧૯૩૦ ના રોજ શરુ થયેલ આઝાદીની લડતના માઇલસ્ટોનસમી દાંડિ કુચમાં ગાંધીજી સાથે ચાલનારા ૭૯-૮૦ સભ્યોમાં ચાર વણકરો હતાઃ (૧) ગાંધીજીના વણાટગુરુ રામજીભાઇ બઢીયા (૨) રામજીભાઇ બઢીયાના પુત્ર હરખાભાઇ બઢીયા (૩) રામજીભાઇ બઢીયાના જમાઈ રત્નાજી બોરીસા (૪) ભરુચના લાલજી પરમાર (Refer: https://www.gandhiheritageportal.org/dandi-march/the-marchers) ગાંધીજીએ ૧૯૨૦ માં મજુર મહાજનની સ્થાપના કરી તેના આગેવાનો અને પાયાના કાર્યકરો કચરા ભગત, મુળદાસ વૈશ્ય, કેશવજી રણછોડજી વાઘેલા પણ વણકર હતા.


ગુજરાત સિવાય સમગ્ર ભારતમાં વણકર સમાજ ક્યાય અનુસુચિત જાતિ – અસ્પૃશ્ય વર્ગમાં નથી ગણાતો. ગુજરાતના સમગ્ર દલિત સમાજના હિત માટેના આંબેડકર પહેલાના સમયથી કોઇ અગ્રેસરની ભુમિકા રહ્યુ હોય તો તે પણ ફક્ત વણકર સમાજ હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૨૪ માં બહિષ્કૃત હિતકારણી સભાની મુંબઇમાં સ્થાપના કરી જેના ટ્રસ્ટમાં ચાર વણકરો હતાઃ (૧) રાઘવજી લેઉઆ (૨) શામજી નાનજી મારવાડી (૩) સામંત નાનજી મારવાડી (૪) ઝીણા મુળજી રાઠોડ જ્યારે કેશવજી રણછોડજી વાઘેલા તો એના પાયાના આગેવાન હતા. ૨૦-૦૯-૧૯૨૭ માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે મ્હાડ સત્યાગ્રહ કર્યો ત્યારે તેમાં સિંહફાળો આપનાર વણકર સમાજ હતો. દલિતોના પ્રતિનિધિ તરીકે ગવર્નર સર લેઝ્લી વિલસ્ન તરફથી બોમ્બે વિધાન પરીષદના સભ્ય તરીકે દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા વણકરસમાજના સપુત ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકિ અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકરની પસંદગી કરી અને તેઓએ ૧૮-૦૨-૧૯૨૭ ના રોજ મુંબઇ ટાઉન હોલમાં સોગંદવિધિ લીધા, એ સમયે ૧૧૪ સભ્યોની બોમ્બે વિધાન પરીષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતાઃ ડૉ. પી. જી. સોલંકિ અને ડો. બાબા સાહેબ આંબેડકર!! બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સાયમન કમીશન જ્યારે ભારત આવ્યુ ત્યારે દલિતોના પ્રતિનિધિ તરીકે સર જોહન સાયમનનુ ડૉ. પી. જી. સોલંકિએ મોલ સ્ટેશને સ્વાગત કરેલુ અને ૨૩-૧૦-૧૯૨૭ ના રોજ દલિતોની વ્યાથા અંગે ડો. બાબા સાહેબ આંબેડકર સાથે કમીશન સમક્ષ સંયુક્ત રજુઆત કરતા દલિતોને બોમ્બે વિધાન પરીષદમાં વસ્તીના ધોરણે ૨૨ બેઠકોની જોગવાઇ સાથે દ્લિતોને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના મનુવાદી અત્યાચારોથી રક્ષણ આપતા કાયદાની માંગ મુકિ ૧૯૮૪ ના એટ્રોસીટી એક્ટનુ બીજ રોપેલુ. દલિત વર્ગો અને આદિમ જાતીઓના વિકાસ માટે એક સમિતિ નિમાવાનો પ્રસ્તાવ ૦૮-૦૮-૧૯૨૮ ના રોજ તેમણે બોમ્બે વિધાન પરીષદમાં મુક્યો જે સર્વાનુમતે સ્વીકારાતા એચ. બી. સ્ટાર્ટની અધ્યક્ષતામાં સમિતિ રચાઇ. આ ‘સ્ટાર્ટ સમિતિ’ એ બોમ્બે પ્રોવિંસમાં પ્રવાસ કરી તે સમયની સામાજિક પરીસ્થીતિનો અભ્યાસ કર્યો અને તેના આધારે અંત્યજ વર્ગ (આજની અનુસુચિત જાતિ - જનજાતિ અને અન્ય પછાત જાતિની ઓળખ) માટેના ધારા-ધોરણો નક્કી કર્યા તેમજ તેઓના ઉત્થાન માટે ૧૯૩૧ બેક્વર્ડ ક્લાસ બોર્ડની રચના કરી અને દરેક જીલ્લામાં બેકવર્ડ ઓફિસરોની નિમણુંક કરી. આઝાદ ભારતની ૧૯૫૨ અને ૧૯૫૭ ની લોકસભા ચુંટણીમાં જીતીને ગુજરાતના દલિત સમુદાયનુ પ્રતિનિધિત્વ કરતા સંસદમાં જનાર હતા વણકરસમાજના મુળદાસ વૈશ્ય.


આ પછી પણ ઘણા જાણ્યા અજાણ્યા ક્ષેત્રોમાં વણકરસમાજનુ યોગદાન આગવુ રહ્યુ છે. સંગીત-કલા-ફિલ્મ ક્ષેત્રે ટોચના કલાકારોમાં વણકરપુત્રોનુ નામ ગણાય છે. ગુજરાતના દલિત ઉઘોગપતિઓમાં અને એ પણ મહિલા ઉધોગપતિઓમાં વણકર જ છે. પ્રધાનમંત્રીશ્રી મનમોહનની હ્રદય શસ્ત્રક્રિયા કરનાર દેશના ઉચ્ચ કક્ષાના તબિબોમાં પણ એક વણકર છે.

 

SC/ST Business પ્રદર્શન કાર્યક્રમ (૧૪-૦૪-૨૦૧૬)

www.VankarSamaj.com ના શ્રી ભરત ડાભી, દિપ ચેરીટેબલ ટ્ર્સ્ટના શ્રી મિતેશ ચાવડા, શ્રી વિનોદ વાઘેલા, શ્રી રાજેશ સાંધલીયાના સહિયારા પ્રયત્નોથી તારીખ ૧૪-૦૪-૨૦૧૬ ના રોજ પેનોરામા કોમ્પ્લેક્ષ, અલકાપુરી, વડોદરા ખાતે અનુસુચિત જાતિ / જનજાતિના વ્યવસાયિકોનો પ્રદર્શન કાર્યક્રમ યોજાઇ ગયો જ્યા સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાના આપણા સમાજના નાના-મોટા વ્યવસાયીકો / ધંધાદારીઓના ૨૦ કરતા વધુ સ્ટોલ લાગેલ અને ત્રણસો ઉપરની સંખ્યામાં મુલાકાતીઓ આવેલ. વડોદરામાં પ્રથમવાર યોજાયેલ આ પ્રકારના કાર્યક્રમ દ્વારા આયોજક ટીમના સમાજને Entrepreneurship અંગે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નને આવનાર સમાજમિત્રોને બીરદાવેલ. કાર્યક્રમની પ્રેરણા આપનાર ભાવિકા, વિજય વિરડિયા પણ અમદાવાદથી ખાસ આ કાર્યક્રમ હેતુ પધારેલ અને આવનાર મિત્રોને SC/ST Business Community માટેની Organized Business મોબાઇલ એપ્લીકેશન વિષે માહિતિ આપેલ.

     
     
 

અજાજ મિડિયામિત્રોનુ સ્નેહમિલન (25-12-2015)

આપણા સમાજના જાણિતા સમાજસેવી અને ગુજરાત પબ્લિક સર્વિસ કમીશનના પુર્વ સભ્યશ્રી મુળચંદભાઇ રાણા, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાન અને જાણિતા સમાજસેવી શ્રી હસમુખભાઇ સકસેના, મોડાસાનાશ્રી જય અમીન (પત્રકાર) અને www.VankarSamaj.com ના ભરત ડાભીના સહિયારા પ્રયાસોથી ગુજરાતભરના અનુસુચિત જાતિ / જનજાતિના પત્રકારો, ટીવી રીપોર્ટરો, પ્રકાશકો અને અન્ય મિડિયા ક્ષેત્રે કામ કરતા મિડિયામિત્રો એક્બીજાને ઓળખે – જાણે અને આગળ જઇને સંગઠિત બને તે હેતુ સાથે તારીખ ૨૫-૧૨-૨૦૧૫, શુક્રવારના રોજ મેટ્રોપોલ હોટેલ, અમદાવાદ ખાતે એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાઇ ગયો. કડકડતી ઠંડિમાં સવારે નવ વાગ્યે શરુ પામેલ આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી છેક ક્ચ્છ-ભુજ, મહેસાણા, પાલપનપુર, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, ભરુચ, કેવડિયા કોલોની, દાહોદ, સોમનાથ અને અન્ય દુરુસુદુર સ્થળોએથી સવાસો ઉપરની સંખ્યામાં અનુસુચિતિ જાતિ / જનજાતિના મિડિયામિત્રો પધારેલ. આવેલ સર્વ મિત્રોએ એકબીજા સાથે પરીચય કેળવેલ અને લોકતંત્ર – વહિવટીતંત્ર – ન્યાયતંત્ર સાથે લોકશાહિના ચોથા સ્તંભ તરીકે ઓળખાતા શક્તિશાળી મિડિયાનુ સમાજ વિકાસમાં શુ યોગદાન હોઇ શકે તે અંગે વિવિધ સુચનો અને મુદ્દાસર ચર્ચા કરેલ. આવેલ મિડિયામિત્રો દ્વારા સંગઠન રચવા અંગે પણ સંમતિ સધાયેલ અને તે અંગે કારોબારી વગેરે બાબતો નક્કિ થયેલ. કાર્યક્રમનુ સમગ્ર અને સફળ સંચાલન આકાશવાણી અમદાવાદના આસીટંટ ડાયરેક્ટરશ્રી ભરતભાઇ દેવમણી અને RTI Impact ગાંધીનગરના પ્રકાશકશ્રી સ્વપનીલ મહેતાએ સંભાળેલ. સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે નિવૃત્ત માહિતિ નિયામકશ્રી નટુભાઇ પરમારે અપ્રતિમ પ્રસંશનીય સેવા બનાવેલ. કાર્યક્રમ બાદ સૌ ભોજન લઇ છુટા પડેલ.

 
 
 
 

ખેડા ૯ ગામ વણકરસમાજ યુવક મંડળ દ્વારા સન્માન સમારંભ (23-08-2015)

તારીખ ૨૩-૦૮-૨૦૧૫ ના રોજ ખેડા ૯ ગામ વણકર યુવક મંડળ દ્વારા મહેમદાવાદ (ખેડા) ખાતે તેજસ્વી તારલા સહિત નવનિવૃત્ત વડિલોનો સન્માન સમારંભ યોજાઇ ગયો, જ્યાં મુખ્ય અતિથી અને અધ્યક્ષ તરીકે સંત સવૈયાનાથ ધામ ઝાંઝરકાના ગાદિપતિ અને રાજ્યસભાના સાંસદ મહંતશ્રી શંભુનાથજી મહારાજ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરુઆત પ્રાર્થના અને માં સરસ્વતિની આરાધના સાથે દિપપ્રાગટય દ્રારા કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી અમૄતભાઇ મુળજીભાઇ વાઘેલાએ (નેનપુર) સંસ્થાનો પરીચય આપી કાર્યક્રમની માહિતિ આપેલ. મંત્રીશ્રી દિનેશભાઇ ભાણાભાઇ પરમાર (આમસરણ), કારોબારી સભ્યશ્રી જીતેન્દ્રભાઇ એસ. જાદવ (વિઠઠલપુરા) અને અન્ય ઉપસ્થિત સંસ્થાના વડિલો દ્રારા આમંત્રીત મહેમાનો અને દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવેલ. અમદાવાદ નિવાસી શ્રી દશરથભાઈ કાનજીભાઇ મકવાણા (નેનપુર) કે જેમણે રુપિયા એક લાખનુ સંસ્થાને દાન આપેલ પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહિ શકેલ તેમણે પોતાનો શુભેચ્છા સંદેશ પાઠવેલ. કાર્યક્રમાં ૪૦ જેટલા ધોરણ ૧૦, ૧૨ અને કોલેજની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણાંકો સાથે પાસ થયેલ વિધાર્થી મિત્રોનો વિરોલ ગામના (હાલ વડોદરા નિવાસી) જાણિતા સમાજસેવીશ્રી અજયભાઇ પુંજાલાલ ડાભી તરફથી મહંતશ્રી શંભુનાથજી મહારાજના હસ્તે મોમેન્ટો આપી તેમજ નવનિવૃત્ત વડિલોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન મહંતશ્રી શંભુનાથજી મહારાજે તેમના આશીર્વચનમાં સંસ્થાના પ્રયત્નને બિરદાવતા સંસ્થા ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યકત કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને પ્રધાનમંત્રી યોજના હેઠળ બેંક ખાતુ ખોલાવવા અને વિમો ઉતરાવવા તેઓ દરેકને ૫૦૦ રુપીયા મદદ કરશે અને આમાં ખેડા ૯ ગામ વિસ્તારની લગભગ દરેક ગરીબ બહેનો લાભાવંતિ થાય તે જોવા સંસ્થાને અને જાણિતા સમાજસેવીશ્રી અજયભાઇ ડાભીને જણાવેલ. તદઉપરાંત ઐતિહાસીક અને કાયદાકિય બાબતો દ્રારા ઉપસ્થિત સમાજમિત્રોને સાચુ માર્ગદર્શન આપતા બહેનોને ભજન મંડળો વગેરે દ્રારા સંગઠિત બની રચનાત્મક કાર્યોમાં વધુને વધુ સમય અર્પે તેવી ઇચ્છા વ્યકત કરેલ. કાર્યક્રમનુ સુંદર સંચાલન શ્રી રામજીભાઇ રતનાભાઇ પરમારે (આમસરણ) સંભાળેલ અને આભાર વિધી ઉપપ્રમુખશ્રી પ્રવિણકુમાર શંકરલાલ જાદવ (વિઠઠલપુરા) દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ બાદ સર્વે ઉપસ્થિત જ્ઞાતિમિત્રોએ સાથે ભોજન લઈ વિખુટા પડેલ.

 
 

વીરમાયા ડોક્યુમેન્ટરીનુ અનાવરણ અને વિતરણ

સમાજમાં વિસરાઇ રહેલ વીરમાયાના અમુલ્ય ભુતકાળને જીવંત કરી તેમની અભુતપુર્વ બલિદાનગાથા લોકો સુધી પહોંચાડવાના અને સમાજમાં તેઓને પ્રસ્થાપિત કરવાન ઉદ્દેશથી www.VankarSamaj.com અને અન્ય સમાજ હિતેચ્છુ મિત્રોના સહિયાર પ્રયાસથી "વીરમાયા ડોક્યુમેન્ટરી" નુ નિર્માણ કરવામાં આવેલ અને તેની DVD ની વહેંચણી અને અનાવરણ ઘણા નામી અનામી મહાનુભવો દ્વારા કરવામાં આવેલ

 

તારીખ 02-01-2015 ના રોજ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાન અને જાણિતા સમાજસેવી શ્રી હસમુખભાઇ સકસેના દ્વારા વણકર વિકાસ ફાઉન્ડેશન - અમદાવાદના પ્રમુખશ્રી સતિશભાઇ શાહ; સંસ્થાપકશ્રી મિતેશભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં વણકરસમાજના સુપ્રસિદ્ધ સંગીતકાર અને 'ભાઇ ભાઇ ફેમ'  કલાકારશ્રી અરવિંદભાઇ વેગડાને વીરમાયા ડોક્યુમેન્ટરીની DVD ભેટ કરવામાં આવેલ.

તારીખ 02-01-2015 ના રોજ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાન શ્રી હસમુખભાઇ સકસેના દ્વારા વણકરસમાજના જાણિતા નેતા અને દાણીલીમડા (અમદાવાદ) ના ધારાસભ્યશ્રી શૈલષ મનુભાઇ પરમારને કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાની સવિશેષ ઉપસ્થિતિમાં વીરમાયા ડોક્યુમેન્ટરીની DVD ભેટ કરવામાં આવેલ.

   

તારીખ 13-01-2015 ના રોજ વડોદરા ભાજપ SC મોર્ચાના પ્રમુખશ્રી અજયભાઇ ડાભીની ઉપસ્થિતિમાં વડોદરા વણકરસમાજના અગ્રણી કાર્યકર્તા અને ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમના ડિરેક્ટરશ્રી જીવરાજભાઇ ચૌહાણને વીરમાયા ડોક્યુમેન્ટરીની DVD ભેટ કરવામાં આવેલ જ્યા વણકર ફાઉન્ડેશન, વડોદરાના સંસ્થાપકશ્રી મિતેશભાઇ ચાવડા અને અન્ય સમાજમિત્રો ઉપસ્થિત રહેલ.

તારીખ 02-01-2015 ના રોજ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાન અને જાણિતા સમાજસેવી શ્રી હસમુખભાઇ સકસેના દ્વારા વણકર વિકાસ ફાઉન્ડેશન - અમદાવાદના પ્રમુખશ્રી સતિશભાઇ શાહ; સંસ્થાપકશ્રી મિતેશભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ગુજરાત વણકર સેવા સમાજ - અમદાવાદના મેનેજીગ ટ્રસ્ટીશ્રી પી.કે.વાલેરાને વીરમાયા ડોક્યુમેન્ટરીની DVD ભેટ કરવામાં આવેલ.

   

તારીખ 28-12-2014 ના રોજ વીરમાયા સ્મારક સમિતિ - પાટણ દ્વારા ગાંધી આશ્રમ, અમદાવાદ ખાતે વીરમાયા ડોક્યુમેન્ટરીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ જ્યાં સંસ્થાના પ્રમુખશ્રી ઝવેરભાઇ ચાવડા (Retd. IAS), શ્રી ધનજીભાઇ પી. પરમાર, શ્રી ધીરજભાઇ સોલંકી, ડો. નરસિંહદાસ વણકર, શ્રી નગીનભાઇ ડોડિયા, શ્રી હરગોવનભાઇ પરમાર, વણકર વિકાસ ફાઉન્ડેશન - અમદાવાદના પ્રમુખશ્રી સતિશભાઇ શાહ અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાનશ્રી હસમુખભાઇ સકસેના ઉપસ્થીત રહેલ.

 

www.VankarSamaj.com અને વણકર ફાઉન્ડેશન દ્વારા એટ્રોસીટી શીબિર (08-03-2015)

www.VankarSamaj.com અને www.VankarFoundation.co.in ના સહિયારા પ્રયાસોથી તારીખ 08-03-2015 રવિવારના રોજ આંબેડકર હોલ, અલકાપુરી, વડોદરા ખાતે દલિત અત્યાચાર અંગે એક દિવસીય કાનુની માર્ગદર્શક શિબિર યોજાઇ ગઇ જ્યાં બિહેવિરિયલ સાયંસ સેન્ટર, ઝેવીયર્સ કોલેજ, અમદાવાદના એટ્રોસિટી કેસોના વકિલશ્રી ગોવિંદભાઇ પરમાર; જાણિતા દલિત લડાયક કર્મશીલશ્રી ડૉ. નિતિન ગુર્જર; ગુજરાત પબ્લિક સર્વિસ કમીશનના પુર્વ સદસ્ય અને દલિત અત્યાચારો અંગે કાર્યરત સમરસતા મંચના શ્રી મુળચંદભાઇ રાણા; ગુજરાત યુનવર્સીટી અમદાવાદના સમાજશાસ્ત્ર વિભાગના વડા અને પ્રોફેસરશ્રી ડો. મનુભાઇ મકવાણા પ્રમુખ વક્તા તરીકે ઉપસ્થિત રહેલ.

 

કાર્યક્રમમાં એડવોકેટશ્રી ગોવિંદભાઇ પરમારે દલિત અત્યાચાર અંગે વિવિધ કાનુની ધારાઓ અને તેમાં પોલીસ તપાસ અંગે સચોટ અને ઉપયોગી માહિતિ આપેલ. ડૉ. નિતિન ગુર્જરે છેલ્લા બસો વર્ષના ઇતિહાસમાં વિવિધ જાણિતા-અજાણ્યા દલિત આંદોલનોની રસપ્રદ વિગતો ટાંકિ આજની યુવા પેઢીમાંની ઇતિહાસ અંગેની અજ્ઞાનતા અંગે દુઃખ વ્યકત કરેલ. પ્રોફેસરશ્રી ડો. મનુભાઇ મકવાણાએ તેઓની 35 વર્ષ ઉપરાંતની કારકિર્દિ અને સામાજીક અનુભવો વાગોળી સામાજીક સ્તરે બદલાયેલ દલિત અત્યાચારોની સમજ આપેલ અને ભવિષ્યમાંના આવા આડકતરા પડકારોને પહોંચી વળવા ઉપસ્થિત મિત્રોને સજ્જ બનવા હાકલ કરેલ. શ્રી મુળચંદભાઇ રાણાએ તાજેતરના ટિંબા, ભદરેસી, માલાવાડા, વણઝર વગેરે સ્થળોએ બનેલ દલિત અત્યાચાર બનાવોની સ્વઃનજરે નિહાળેલ પરીસ્થિતિ વર્ણવી દલિત અત્યાચારનો સામાજીક ચિતાર રજુ કરેલ અને સાથે ઉપસ્થિત મિત્રો સાથે પ્રશ્નોતરી દ્વારા દલિત અત્યાચાર અંગે સરકારમાંના જવાબદાર અધિકારીઓ-મંત્રીશ્રીઓને આવેદન પત્રો આપી પરીસ્થિતિની ગંભીરતા પ્રત્યે તેઓનુ ધ્યાન દોરી જરુરી સુધારા કરવા સુચન કરેલ જેનો બહોળો પ્રતિસાદ મળેલ.

 

કોઇપણ પ્રકારની ફોર્માલીટી વગર સુંદર રીતે એકદમ સાદાઇથી યોજાયેલ કાર્યક્રમનુ સમગ્ર સંચાલન મહેસાણાના દલિત કર્મશીલ અને એટ્રોસીટી એક્ટીવિસ્ટશ્રી કૌશીકભાઇ પરમારે સફળતાથી પુરુ પાડેલ. કોઇપણ સંસ્થા કે સરકારની આર્થીક મદદ વગર સફળતાથી પુર્ણ પામેલ ઉપરોક્ત એક દિવસીય દલિત અત્યાચાર કાનુની શિબિરમાં સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાનશ્રી હસમુખભાઇ સકસેના, દલિત ઉધોગ સાહસિક શ્રી દિનેશભાઇ રાજવંશી (અમદાવાદ), શ્રી મુકેશ રતિલાલ મકવાણા (અમદાવાદ), નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારીશ્રી કેપી વાઘેલા, GIDC ના નિવ્રુત્ત જનરલ મેનેજરશ્રી એડી પરમાર (અમદાવાદ), શ્રી નરેન્દ્રભાઇ સંખાલીયા (અમદાવાદ), વડોદરા રોહિત સમાજના પ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, શ્રી ઠાકોરભાઇ સોલંકી, MSU ના MSW વિભાગના પ્રોફેસરશ્રી ડો. જગદિશભાઇ સોલંકી, રુદ્રાક્ષ ટ્રસ્ટ (આણંદ) ના શ્રી કિરણ સોલંકી, શ્રી હિમતભાઇ પડાયા (ભાવનગર), સમાજ સંવેદના સામયિકના પ્રકાશકશ્રી કિશોરભાઇ મકવાણા અને તંત્રી શ્રીમતિ અનિતાબેન પરમાર સહિત 50-60 જેટલા મિત્રો ઉપસ્થિત રહેલ. આવનાર વક્તાઓને કાર્યક્રમના અંતે વડોદરાના નિવ્રુત્ત સરકારી અધિકારી શ્રી દેવજીભાઇ પરમારે ભેટ આપી આભાર વ્યકત કરેલ.

 
 
 

માલાવાડા (માતર – ખેડા) વણકર અત્યાચાર ઘટના (28-10-2014)

અમદાવાદથી 55 કીમી દુર ખેડા જીલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામના વણકર મહોલ્લામાં પાણીની સમસ્યાના કારણે આખાયે ગામની શાંતિને ડહોળતી એક ઘટના બની ગઇ. તારીખ 20-21 October’2014 દરમ્યાન ગામના વણકર લોકોએ ગ્રામ પંચાયતને મહોલ્લામાં પીવાના ખારા પાણીની ફરીયાદ કરી. તે દરમિયાન દીપાવલીનું પર્વ હોઇ વણકરોએ આ સમસ્યાને તત્કાલ પુરતી વિસારે પાડી. તારીખ 28-10-2014, લાભપાંચમની સાંજે પાણી તકલીફથી પરેશાન 15-20 જેટલી વણકર મહિલાઓ ગામના મહિલા સરપંચ ઉષાબેન વિજયસિંહ પરમારના ઘરે રજુઆત કરવા ગયા. સૌના આઘાત વચ્ચે, સરપંચ બહેને અને એમના સાસુએ તો રજુઆત સાંભળવાને બદલે મહિલાઓને જાતિવાચક અપશબ્દ સંબોધનો સાથે અપમાનિત અને હડધુત કરી કાઢી મુક્યા. એ જ રાત્રે વણકરસમાજને સબક શીખવાડવા માટે પુર્વ ઘઠીત યોજના મુજબ ફટાકડાના અવાજના સંકેતથી ગામના ઠાકોરસમાજના લોકો વણકર મહોલ્લાની નજીક આવેલી ડેરી પાસે એકઠા થયા. અને જાણવામાં આવ્યા મુજબ આશરે સો કરતા વધુ લોકોના ટોળાએ રાત્રે વણકરવાસ પર હુમલો કરી આતંક અને દહેશતનું વાતાવરણ ફેલાવી દીધું. દહેશતનો અણસાર પામેલા વણકર મિત્રો આમ તેમ જાળીવાળા સલામત ઘરોમાં સંતાઇ ગયા. ઠાકોર ટોળાએ ઉઘાડા ઘરોમાં ઘુસી જઇ ઘરવખરી-ફરનિચર-પંખા વિગેરેને નુકસાન કર્યું. એકાદ ઘરે તો ટીવીના કાચ તોડ્યા. લગભગ અડધો કલાક આ ઘમાસાણ ચાલ્યું. આશ્ચર્ય એ વાતનું છે કે બરાબર આ જ ક્ષણે વણકર મહોલ્લાની સ્ટ્રીટ લાઇટ ડુલ થઇ ગઇ, જે પાછી આપોઆપ ટોળાના હુમલા બાદ પુર્વવત ચાલુ પણ થઇ ગઇ!! જાણવામાં આવ્યા મુજબ ત્રણેક લોકોને આ અણધાર્યા હુમલામાં ઇજા પણ થયેલ. હુમલામાં અસરગ્રસ્ત લોકોએ મોબાઇલ દ્વારા તાત્કાલિત સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો જેના પ્રતિસાદમાં એક 108 વાન આવી પણ ખરી પરંતુ બહાર ડેરી આગળ એકત્રીત ઠાકોર ટોળાએ એને પાછી મોકલી દીધી જેથી છેક બીજા દિવસે આ ઇજાગ્રસ્તોની સારવાર થઇ શકેલ. એ જ રાત્રે પોલીસ પણ મોડિ આવી અને બનાવની ફરીયાદ નોંધી જેના આધારે બીજા દિવસે ગામના સરપંચ વિજયસિંહ પરમાર સહિત અન્ય 18 ઠાકોર આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમને આરોપીઓના સમાજના સ્થાનિક ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકીની દખલગીરીથી માતર તાલુકા કોર્ટમાંથી તરત જ જામીન પણ મળી ગયા અને તમામ આરોપીઓ છુટીને ઘરે આવી ગયા.

તારીખ 28-10-2014 રાત્રીની ઘટના બાદ બે પોલીસ કોન્સ્ટેબલની વણકર મહોલ્લાની આગળ સીક્યુરીટી આપવામાં આવેલી છે. પરીસ્થિતિ પ્રમાણે ઓછી અનુભવાતી આ સીક્યુરીટીમાં મહોલ્લાના બીજા છેડાને પણ કવર કરવા વધારાની પોલીસ વ્યવસ્થા માટે સ્થળ પરથી જ સામાજિક ન્યાય અને અધિકારીતા માનનીય મંત્રીશ્રી રમણલાલ વોરાને ફોન પર વિનંતિ કરતાં તેમણે ગામની હાલની એકંદર સ્થિતિનો સંવેદનાસભર તાળો મેળવી વધારાના પોલીસ રક્ષણ માટે સત્વરે વ્યવસ્થા કરવાની ખાતરી આપી. સાડા ચાર હજારની કુલ વસ્તી ધરાવતા આ ગામમાં પાંચસોની વસ્તીવાળો મુસ્લિમ સમુદાય ગામ વચ્ચે જ રહે છે, જ્યારે બરાબર એટલી જ વસ્તી ધરાવતા હિન્દુ વણકર તો ગામના છેવાડે જ વસે છે.

વણકર સમુદાયના વણકરવાસ પર થયેલા આ હુમલાના અત્યંત ખરાબ પ્રત્યાઘાતો ગામમાં પડ્યા અને વણકરસમાજને વધુ કનડગત થાય અને પરોક્ષ રીતે વણકરોનો સામાજિક બહિષ્કાર થાય એવું વાતાવરણ ગામમાં સર્જાયું. ગામમાં અનાજ દળાવવાની બે ઘંટીઓ પૈકી ઠાકોર હસ્તક એક પર વણકરોને અનાજ દળવામાં એક યા બીજા કારણસર ઇન્કારવામાં આવ્યા. અત: મુસ્લિમ માલીકની અન્ય ઘંટીનો વણકરોએ ઉપયોગ કરવો પડયો. નોકરીએ જતી બહેનોને છકડામાં બેસાડવામાં આનાકાની થવા માંડી. ભય અને દહેશતના વાતાવરણથી વણકર વિધાર્થીઓએ શાળામાં જવાનું બંધ કર્યું. સાંજ પછી તો અસલામતિ અનુભવતા વણકર શ્રમિકોએ રાતપાળીની નોકરીએ જવાનું ટાળ્યું. વણકર ખેડુતોના ખેતરોમાં પુળાઓ સળગાવવામાં આવ્યા. એકંદર સમરસ માહોલ ધરાવતા માલાવાડા ગામમાં આ હુમલામાં કોઇ જ નિસ્બત ન ધરાવતા હિન્દુ સમાજના અન્ય સવર્ણોએ પણ સ્થાનિક વણકર સમાજ સાથે આમવ્યવહાર કાપી નાંખ્યો.

     
 
 

વિરમાયા સંસ્મરણાર્થે પાટણ ખાતે વણકર મિત્રોની મુલાકાત (28-07-2014)

તારીખ ૨૮-૦૭-૨૦૧૪ ના રોજ વણકરજ્ઞાતિમિત્રો સમક્ષ સમાજની વિવિધ માહિતિઓ પ્રસ્તુત કરવાના પ્રયત્ન્યરુપે www.VankarSamaj.com ના પ્રણેતા ભરત ડાભી દ્વારા સમાજના અન્ય મિત્રો શ્રી મુળચંદભાઇ રાણા (પુર્વ સદસ્ય GPSC); વણકરસમાજના ઇતિહાસકાર અને વિરમાયા વિષયના સંશોધનકર્તા ડૉ. પી.એ.પરમાર અને ડૉ. નરસિંહભાઇ વણકર; શ્રી હરેશભાઇ મકવાણા; મહેસાણા વણકરસમાજના યુવા કાર્યકર્તા અને આગેવાનશ્રી રાજુલભાઇ કાપડિયા; સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા વણકરસમાજના યુવા આગેવાનશ્રી હસમુખભાઇ સકસેના; વણકરસમાજના મુખપત્ર 'સમાજદિપ' ના પ્રકાશકશ્રી દિનેશભાઇ પરમાર; હમલોગ દૈનિક પાટણના પત્રકારશ્રી રમેશભાઇ સોલંકિ; પાટણના રહેવાસી અને વિરમાયા સ્મારક સંકુલના કારોબારી સભ્ય શ્રી નગીનભાઇ ડોડિયા; શ્રી ધર્મેશભાઇ ગોહિલ વગેરેના અપ્રતિમ સહકાર અને માર્ગદર્શનથી પાટણ ખાતે વિરમાયા સમાધીસ્થાન મંદિર, સહસ્ત્રલીંગ તળાવ, રાણકિવાવ, સતિ જશમા ઓડ મંદિર વગેરે સ્થળોની એક સુંદર અને માહિતિપ્રદ મુલાકાત લેવામાં આવી અને વિવિધ ઇન્ટરવ્યુઓ, ફોટોગ્રાફિ વગેરે દ્વારા વિરમાયાના ભવ્ય વારસાને જીવંત રાખવાના પ્રયાસો અંગે વિવિધ ચર્ચા વિમર્શ થયા.
 

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસના આ શુભ અવસરે ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ડૉ. પી.એ.પરમારના પુસ્તક "ઇતિહાસના આયનામાં વિરમાયો" નુ વિમોચન પણ કરવામાં આવેલ.

     

 
 
 

ભરુચ વણકરસમાજનો ૧૧મો સમુહ લગ્નોત્સવ (11-05-2014)

સમસ્ત વણકરસમાજ ટ્રસ્ટ, ભરુચ દ્વારા અગીયારમો સમુહ લગ્નોત્સવ તારીખ ૧૧-૦૫-૨૦૧૪ રવિવારના રોજ વિશ્વ ગાયત્રી પીઠ, ઝાડેશ્વર, ભરુચ ખાતે યોજાઇ ગયો. જ્યાં વિશ્વ ગાયત્રી મંદિર, ઝાડેશ્વર, ભરુચના પુજ્ય ગુરુ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી અલખગીરીજી મહારાજ અને શિવાની માતાજીના આશીર્વચનો સાથે નવદંપતીઓએ વૈવાહિક જીવનમાં કુમકુમ પગલા પાડેલ.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ભરુચ વણકરસમાજના સમાજરત્નશ્રી ધનજીભાઇ પરમાર (કેસરોલવાળા) અને ઉદ્ઘાટક તરીકે લિમડિચોક, ભરુચના સામજીક અગ્રણી શ્રી હિરાભાઇ એમ. પરમાર સહિત આમંત્રિત મહેમાનોમાં ભરુચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરુણસિંહ રાણા, ભરુચ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ, ગુજરાત વણકર સેવા સમાજ - અમદાવાદના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઇ દોરાવાલા, શ્રી રાજેન્દ્રભાઇ સુતરિયા અને સંસ્થાના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામા જ્ઞાતિ બંધુઓ ઉપસ્થીત રહેલ.

 
 

આપણા વણકરસમાજનુ ગૌરવ : પ્રવિણભાઇ સોલંકિ

ભારત સરકારની ૨૦૦૩ની સનદી પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજયમાંથી પાસ થયેલ એક માત્ર વ્યકિત અમદાવાદ જિલ્લાના વતની પ્રવિણભાઇ સોલંકિએ આપણા વણકરસમાજનુ ગૌરવ વધાર્યુ છે.

આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા વણકરસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા વણકરસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ.

KEEP VISITING US FOR MORE INFORMATION

© Copyright www.VankarSamaj.com